ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લા માટે અતિ મહત્વની ભાડભુત બેરેજ યોજનાની ડેડલાઈન પૂર્ણ થયાને 9 મહિના વિતી ગયા છે જેની સામે કામગીરી 63.47 ટકા જ પૂર્ણ થઈ છે.
ભરૂચ જિલ્લાની પ્રજા બે વર્ષ અગાઉનું નર્મદા નદીનું ઘોડાપુર હજી ભુલ્યું નથી. અંકલેશ્વરને તો નર્મદાના ઐતિહાસિક 2023 ના ઘોડાપૂરે ચોમાસામાં તારાજ કરી દીધું હતું ત્યારે હજી સંભવત પુર સામે સંરક્ષણ મેળવવા 2 થી 3 વર્ષની રાહ જોવી પડે તેવી શકયતા રહેલી છે.
ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપુર અને ધોવાણથી રક્ષણ આપવા વડાપ્રધાનની મહ્ત્વકાંક્ષી રૂપિયા 8 હજાર કરોડની ભાડભુત બેરેજ યોજનાની કામગીરી 15 ઓક્ટોબર 2020 થી શરૂ કરાઇ હતી.

અંકલેશ્વર તરફ પુર સંરક્ષણ પાળો બનાવવા માટે સંપાદન થયા બાદ દોઢ વર્ષે પાળો પૂર્ણ કરવાનું આયોજન છે. જેને જોતા અંકલેશ્વર કિનારાના ખેડૂતો અને લોકોને હજી બે થી ત્રણ ચોમાસામાં નર્મદા નદીમાં સંભવિત પુર સામે ખતરો રહેલો છે.
હાલ ભાડભુત બેરેજ યોજનાની કામગીરી 31 મે સુધી કુલ 63.47 ટકા થઈ છે. જેમાં બેરેજનું સિવિલ વર્ક 59.16 ટકા, ફ્લડ પ્રોટેકશન વર્ક 29.36 ટકા, હાઇડ્રો મિકેનિકલ વર્ક 10.43 ટકા થયું છે. જ્યારે ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્કાડા અને કંટ્રોલ વર્ક દોઢ ટકા જ થઈ શક્યું છે. યોજનામાં નાણાકીય રીતે બેરેજનું બાંધકામ 2416.03 કરોડનું પૂર્ણ થયું છે.