લવ સ્ટોરી ફિલ્મની આવી અસર થશે એવું કોઈએ વિચાર્યું નહતું. લાંબા સમય બાદ સિનેમાઘરોમાં આવેલી આ લવ સ્ટોરી યુવા પેઢીના માથે ચઢી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જોઇને કોઇક બુમો પાડી રહ્યું છે, તો કોક બેશુદ્ધ હાલતમાં થીએટરમાં જોવા મળે છે. આ ફિલ્મને લઇને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ છે. આ વચ્ચે ફિલ્મનો હકીકતના જીવનમાં ખોટી અસર પડી હોવાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. યુવતિએ સૈયારા ફિલ્મ જોઇને પોતાના પ્રેમીને યાદ કર્યો હતો. અને તે લાગણીમાં વશ થઇને પોતાની જાતને ત્રણ દિવસ સુધી રૂમમાં પુરી રાખી હતી. આખરે પરિવારે અભયમની મદદ લેતા મામલે થાળે પડ્યો હતો. ફિલ્મની યુવાપેઢી પર વિપરીત અસર પડી રહી હોવાનું આ કિસ્સા પરથી સામે આવ્યું છે.
દેશભરમાં સોશિયલ મીડિયા પર સૈયારા ફિલ્મનો ભારે ઇમોશનલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં આ ફિલ્મની વિપરીત અસરનો કિસ્સો સામે આવ્યો છે. સૈયારા જોઇને મેડિકલ કોલેજમાં લેક્ચરર યુવતિ ત્રણ દિવસથી પોતાના રૂમમાં પુરાઇ રહી હતી. આ અંગેની જાણ પરિજનનો થતા તેઓ ચિંતીત થયા હતા. અને મદદ માટે અભયમને કોલ કર્યો હતો. બાદમાં અભયમે તુરંત યુવતિ પાસે પહોંચીને તેની જોડે અસરકારક સંવાદ સાધ્યો હતો.
વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે - અભયમ
અભયમની ટીમે યુવતિને જણાવ્યું કે, ફિલ્મ એક મનોરંજન માટેનું સાધન છે. વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે. ફિલ્મમાંથી સારી બાબતો શીખવાની હોય છે. જે આપણને જીવનમાં ઉપયોગી નીવડે. ફિલ્મ જોયા બાદ યુવતિએ પોતાની લાગણી ધરાવતા યુવક અંગે ખુલ્લા દીલથી વાત કરી હતી. યુવતિને માર્ગદર્શન મળતા તે પરિસ્થિતીમાંથી બહાર આવવા માટે જાગૃત બની હતી. આમ, અભયમે ફિલ્મની વિપરીત અસર હેઠળ આવી ગયેલી યુવતિનો જીવ બચાવ્યો હતો.