પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં ચાર આધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કર્યો હતો. ત્યારે હવે આ ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે ACB એ SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પ્રાથમિક કારણોસર બેજવાબદાર ઠરેલા ચાર એન્જિનિયરો કાર્યપાલક ઇજનેર એન.એમ.નાયકાવાલા,નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક આર.ટી.પટેલ, મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે સસ્પેન્ડેડ ચાર અધિકારીઓ અને નિવૃત કાર્યપાલક એન્જિનિયર કે.બી થોરાટની મિલકતોની તપાસ કરવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગ કરવામાં આવી હતી. જે અંગેની મંજુરી મળી જતા વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસે સસ્પેન્ડેડ પૈકી ત્રણ એન્જિનિયરો પોતાનો જવાબ લખાવવા માટે ગઈકાલે આવ્યા હતા. આમ સસ્પેન્ડેડ એન્જિનિયરો વિરૂદ્ધની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો પણ જોડાઇ છે. આ મામલાની વધુ ચોક્સાઇ પૂર્વક તપાસ કરવા માટે આજે 6 સભ્યોની SITની રચના કરવામાં આવી છે.
ગોઝારી બ્રિજ દુર્ઘટના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગના અગાઉ સસ્પેન્ડ થયેલા ચાર અધિકારીઓ તથા એક રીટાયર થયેલ અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દૂરઉપયોગ બાબતેની તપાસ માટે એસીબી તરફથી સીટની રચના કરવામાં આવી છે. જેમાં મકરંદ ચૌહાણ સાહેબ, સંયુક્ત નિયામક, એસીબી વડી કચેરી (અધ્યક્ષ), પીએચ ભેસાણીયા, નાયબ નિયામક, એસીબી વડોદરા (સભ્ય), એ એન પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા શહેર એસીબી પો. સ્ટે. (સભ્ય), આર બી પ્રજાપતિ, રીડર પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી વડોદરા એકમ, (સભ્ય), એ જે ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ એસીબી પો.સ્ટે. (સભ્ય), એમ જે સિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એસીબી પોસ્ટે (સભ્ય) નો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે SIT ની તપાસમાં ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલે છે ? તે જોવું રહ્યું.