દહેજ સેઝ - 1માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014 થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે.શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટીના આશુતોષ મેરિયાએ માહિતી આપી હતી કે, કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.