Updated : August 01, 2025 06:45 pm IST
Sushil Pardeshiવડોદરા તાલુકાની અંકોડિયા ગ્રામ પંચાયતે એક નવતર પહેલ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સંગત ગામમાં હવે દીકરીનો જન્મ થાય તો માતાપિતાને રૂ. ૧૫૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગામના સરપંચ મયુરીબેન ઉલ્પેશભાઇ પટેલે જણાવ્યું કે, દીકરીના જન્મને વધાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. તેમાં ગ્રામ પંચાયતનું પણ યોગદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગામના જે દંપતિને ત્યાં દીકરીનું પારણુ બંધાય તેને રૂ. ૧૫૦૦ની આર્થિક સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓઓ ઉપરાંત આઇસીડીએસ યોજના અંતર્ગત કિશોરીઓની સંભાળ રાખવામાં આવે છે, તે યોજનાઓ પણ સારી રીતે અમલ થાય એ પણ ગ્રામ પંચાયત દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. અંકોડિયા ગ્રામ પંચાયતની આ યોજનાની દીકરીના જન્મના વધામણા સારી રીતે થઇ શકશે અને સમાજમાં સારો સંદેશ જશે. તદ્દઉપરાંત અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વ. કોકીલાબેન રોહિતભાઇ (ઘનશ્યામભાઇ) પટેલ યોજના નામક બીજી પણ પહેલ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ગામમાં કોઇ વ્યક્તિનું અવસાન થાય તેવા સંજોગોમાં તે પરિવારને મરણોત્તર ક્રિયા કરવા માટે રૂ. ૧૫૦૦ની સહાય કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર નજીક આવેલા અંકોડિયા ગામની વસ્તી છેલ્લી ગણતરી મુજબ ૪૬૦૮ની છે અને અત્યારે ગામમાં અંદાજે ૬૨૦૦ લોકો વસે છે. આઠ વોર્ડમાં વિભાજિત ગ્રામ પંચાયત પાસે હાલમાં રૂ. ૨૫ લાખ જેટલું સ્વભંડોળ પણ છે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.